Tuesday, January 7, 2014

ઢોરમાં વાંઝીયાપણું – કારણો અને સારવાર


ઢોરમાં વાંઝીયાપણું ભારતમાં ડેરી ફાર્મિંગ અને ડેરી ઉદ્યોગમાં મોટા આર્થિક નુકસાન માટે કારણભૂત છે.વાંઝીયા પશુને નભાવવું એ એક મોટો આર્થિક બોજો છે અને મોટાભાગના દેશોમાં આવા પશુઓને કતલખાને ધકેલી દેવામાં આવે છે.ઢોરમાં વાંઝીયાપણું અને પ્રજનનાત્મક વિકારોને કારણે ધાવણના લગભગ 10-30 ટકા પર અસર થઈ શકે છે. સારી ફળદ્રુપતા અને સારા વેતર દર માટે નર અને માદા બંનેને સારી રીતે ખવડાવવું જોઇએ અને રોગોથી મુક્ત રાખવા જોઇએ

વાંઝીયાપણાના કારણો:

વાંઝીયાપણાના કારણો અનેક છે અને તે સંકુલ પણ હોઈ શકે છે. અપોષણ, જન્મજાત ક્ષતિઓ, સંચાલનની ક્ષતિઓ તેમજ માદામાં ગર્ભાશયના કે અંત:સ્ત્રાવોના અસંતુલનને કારણે વાંઝીયાપણું હોઈ શકે છે.


જાતિય ચક્ર:

ગાયો અને ભેંસો બંને 18-21 દિવસમાં એકવાર 18-24 કલાક માટે જાતિય ચક્ર (એસ્ટ્રસ) ધરાવે છે. પરંતુ, ભેંસમાં આ ચક્રના કોઈ સ્પષ્ટ ચિહ્નો ના હોવાથી ખેડુતો માટે મોટી સમસ્યા છે. ખેડુતે પશુનું વહેલી સવારથી મોડી રાત્રી સુધી 4-5 વખત અત્યંત નજીકથી નિરીક્ષણ કરવું જોઇએ. પશુ મદમાં છે કેમ તેની ઓછી પરખ વાંઝીયાપણું વધારી શકે છે. પશુમાં કામોદ્દીપનના લક્ષણોની પરખ માટે નોંધપાત્ર કૌશલ્ય જરૂરી છે. જે ખેડુતો લક્ષણોની યોગ્ય નોંધ રાખે છે અને પશુઓના નિરીક્ષણ માટે વધારે સમય ફાળવે છે તેઓ સારા પરીણામો મેળવે છે.

વાંઝીયાપણું ટાળવા માટે સૂચનો: 

1.એસ્ટ્રસ સમયગાળા દરમિયાન પ્રજનન થવું જોઇએ. 

2.જે પશુઓ જાતિય ચક્રના ચિહ્નો દર્શાવતા નથી કે આ ચક્રમાં આવતા નથી તેમની ચકાસણી થવી જોઇએ અને સારવાર થવી જોઇએ. 

3.પશુની તંદુરસ્તી જાળવી રાખવા કૃમિના ઉપદ્રવ માટે છ મહિને એકવાર કૃમિનાશક લેવા જોઇએ. ચોક્કસ સમયાંતરે કૃમિનાશમાં થોડું પણ રોકાણ કરવાથી ડેરીઉદ્યોગમાં સારા પરીણામો હાંસલ થશે. 

4.પ્રોટીન, ખનીજો અને વિટામિનોનો પૂરક આહાર ધરાવતો સંતુલિત આહાર પશુને આપવો જોઇએ. તેનાથી ગર્ભાધાન દર, તંદુરસ્ત ગર્ભાવસ્થા, સલામત સુવાવડમાં વધારો થશે, ચેપનું પ્રમાણ ઘટશે અને વાછરડું તંદુરસ્ત થશે. 

5.યુવાન માદા વાછરડાઓને સારા પોષણ સાથે નભાવવાથી તેઓ 230-250 કિગ્રાના સપ્રમાણ શરીર વજન સાથે વયમાં આવે છે. આટલું વજન પ્રજનન માટે અને ત્યારબાદ બહેતર ગર્ભાધાન માટે યોગ્ય છે. 

6.ગર્ભાવસ્થા દરમિયાન લીલા ઘાસચારાનું પૂરતું પ્રમાણ આપવાથી નવજાત વાછરડાઓમાં અંધાપો અને જન્મ પછી જરાયુ રહી જવાનું અટકાવી શકાય છે. 

7.કુદરતી સેવામાં જન્મજાત ક્ષતિઓ અને ચેપોને ટાળવા આખલાનો ખાનદાની ઇતિહાસ અત્યંત મહત્વનો છે. 

8.આરોગ્યપ્રદ પરિસ્થિતિઓ હેઠળ ગાયોના રહેઠાણ અને સુવાવડની વ્યવસ્થા કરવાથી ગર્ભાશયના ચેપો મોટેભાગે ટાળી શકાય છે. 

9.વીર્યસેચનના 60-90 દિવસ પછી ઢોરના ડોક્ટર દ્વારા ગર્ભાવસ્થાની ખાત્રી કરવા ચકાસણી કરાવવી જોઇએ. 

10.ગર્ભ ધારણ થઈ ગયા પછી માદા એનેસ્ટ્રસ (નિયમિત એસ્ટ્રસ ચક્રોના ચિહ્નો નહીં દર્શાવવા) સમયગાળામાં પ્રવેશે છે. ગાયનો ગર્ભાવસ્થાનો ગાળો લગભગ 285 દિવસ અને ભેંસનો 300 દિવસ છે. 

11.ગર્ભાવસ્થાના છેલ્લા તબક્કામાં બિનજરૂરી તનાવ અને પરિવહન ટાળવા જોઇએ. 

12.સગર્ભા પશુને બહેતર ખોરાક સંચાલન અને સુવાવડ સંભાળ માટે ધણથી અલગ રાખવું જોઇએ. 

13.સુવાવડના બે મહિના પહેલા સગર્ભા માદા પશુઓનું દૂધ ધીરે ધીરે લેવું જોઇએ અને તેમને પૂરતા પ્રમાણમાં પોષણ અને કસરત કરાવવી જોઇએ. તેનાથી માતાની તંદુરસ્તીમાં સુધારો થશે, સરેરાશ જન્મ વજન સાથે તંદુરસ્ત વાછરડાની સુવાવડ થશે, રોગો ઓછા થશે અને જાતિય ચક્ર વહેલું શરૂ થશે. 

14.આર્થિક રીતે પરવડે તેવા અને નફાકારક ડેરી ફાર્મિંગ માટે વર્ષે એક વાછરડાનો હેતુ સિદ્ધ કરવા સુવાવડના ચાર મહિનામાં કે 120 દિવસ પછી પ્રજનન શરૂ કરી શકાય. 

Article Credit:http://www.indg.in

No comments:

Post a Comment